schema:text
| - જાણો રામ ગોપાલ મિશ્રાનો પીએમ રિપોર્ટ શું આવ્યો છે... મીડિયામાં વાયરલ સમાચારનું જાણો શું છે સત્ય...
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં સાંપ્રદાયિક હિંસા પછી, રામ ગોપાલ મિશ્રા નામના એક હિન્દુ વ્યક્તિનું મોત થયું હતું. જે રામ ગોપાલને લઈ મીડિયા અને સોશિયલ મીડિયામાં એક પીએમ રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રામ ગોપાલ મિશ્રાના પીએમ રિપોર્ટમાં નખ ખેંચી લેવામાં આવ્યા અને ઇલેક્ટ્રિક કંરટ આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રામ ગોપાલ મિશ્રાના પીએમ રિપોર્ટમાં નખ ખેંચી લેવામાં આવ્યા અને ઇલેક્ટ્રિક કંરટ આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને અમર ઉજાલાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બહરાઈચ હિંસામાં માર્યા ગયેલા રામ ગોપાલના મોતને લઈને પોલીસે દરેક અફવાઓને નકારી કાઢી છે. રામ ગોપાલ મિશ્રાના પોસ્ટ મોર્ટમ સાથે જોડાયેલી એક ચોંકાવનારી વાત સામે આવી છે. વિભાગીય સૂત્રએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે મૃતક રામ ગોપાલ મિશ્રાના શરીરમાં 30 થી 35 ગોળીઓ મારવામાં આવી હતી, તેમજ મૃત્યુનું કારણ હેમરેજ એટલે કે વધુ પડતું રક્તસ્ત્રાવ હોવાનું જાણવા મળ્યું છે.”
તેમજ બહરાઈચ પોલીસ દ્વારા પણ આ તમામ અફવાઓને ખંડન કરતુ ટ્વિટ તેમના ઓફિશિયલ એકાઉન્ટ પરથી કરવામાં આવ્યુ હતુ જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ બહરાઈચ પોલીસ દ્વારા અફવા ફેલાવનાર લોકોને ચેતવણી પણ આપવામાં આવી હતી અફવા ફેલાવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ ખોટા સમાચાર પ્રસારિત ન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. જે ટ્વિટ પણ તેમના ઓફિશિયલ એકાઉન્ટના માધ્યમથી કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રામ ગોપાલ મિશ્રાના નખ ખેંચી લેવામાં આવ્યો હોવાની તેમજ કરંટ આપ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. બહરાઈચ પોલીસ દ્વારા આ તમામ વાતનું ખંડન કરવામાં આવ્યુ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
|